Thursday, October 10, 2024

આદ્યશક્તિ આરતી રચિયતા


તિથિક્રમ છે અને શિવાનંદજીના પોતાના સ્વાનુભવ પણ છે. માતાજીના પરમધામ મણીદ્વીપમાં મણી-માણેકના અઢાર કિલ્લા છે. જેના લીધે તેમણે આ અઢાર કડીની આરતી રચેલી છે. જેમના કેટલાક શબ્દો પાઠ ફેર અને અપભ્રંશ પામ્યા છે. કંઠોપકંઠ સચવાતી કૃતિઓમાં આવી ભરપુર શક્યતાઓ રહે એવું શ્રી ગણપતભાઈ પંચીગર પણ સ્વીકારે છે. તેમ છતાં અમુક શબ્દોના તેમણે ખૂબ સચોટ અર્થ આપેલા છે. જેમ કે ‘જયોમ જયોમ માં જગદંબે’ નો કોઈ અર્થ જ નથી. ‘જય હો - જય હો માં જગદંબે’ જ સાચો શબ્દ છે. એક નજર મારીએ ચાર સદી પહેલાની રચાયેલી અણમોલ કૃતિ તરફ અને જ્યાં જ્યાં આપણો પાઠદોષ કે ઉચ્ચારણદોષ છે તે સુધારીયે. કોઈપણ જાતની ટેક્નોલોજી વગર 400 વરસથી જે આરતી ગુજરાતી-હિન્દીમાં સમગ્ર ભારતના ઘરે ઘરે ગવાય છે એજ આપણા માટે ગૌરવપ્રદ ઘટના છે. અહીં માત્ર અપભ્રંશ થયેલ શબ્દો અને અંતરા પર જ પ્રકાશ પાડ્યો છે.

“જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ, 
અખિલ બ્રહ્માંડ નીપજાવ્યા પડવે પંડે થયા, જય હો જય હો માં જગદંબે”
અહી કેટલાક ‘પડવે પંડિત થ્યા’ બોલે છે જે અશુદ્ધ છે.

“બ્રહ્મા ‘ગુણપતી’ ગાયે હર ગાયે હર માં” 
અહીં કેટલાક ‘ગણપતિ’ ગાયે એમ બોલે છે. જ્યારે કવિએ વિષ્ણુ ભગવાન માટે ‘ગુણપતિ’ શબ્દ પ્રયોજ્યો છે. બ્રહ્મા વિષ્ણુ અને હર ( કહેતા શિવે ) શિવશક્તિના ગુણ ગાયા એ ભાવ છે.

“ત્રય: થકી ત્રિવેણી, તમે ત્રિવેણી માં”
ઘણા ‘તમે તરવેણીમાં’ બોલે છે જે અશુદ્ધ છે. અહીં નવસર્જન, પરિપાલન અને વિસર્જનની ત્રણેય પ્રવૃત્તિને ત્રિભુવનેશ્વરી ‘ત્રિવેણી’ માતા છો એ સંદર્ભ છે.

“ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા, 
ચાર ભૂજા ચૌ દિશા પ્રગટ્યા દક્ષિણમાં” 
અહીં શિવાનંદજીને નર્મદા નદીને કાંઠે દક્ષિણ દિશામાં માતાજી દર્શન આપ્યાનો અનુભવ કવિએ લખ્યો છે. જ્યાં ચતુરા મહાલક્ષ્મીનો અર્થ છે જેની પાસે ધન છે તે ચતુર ગણાય.

“પંચમેં પંચઋષિ, પંચમે ગુણપદ માં” 
‘ગુણપદ’ શબ્દનો અર્થ એકબીજાથી વિભિન્ન પ્રકારના લક્ષણો થાય. પાંચ મહાભૂત તત્વો જગદંબાએ ઉત્પન્ન કર્યા અને તેની વ્યવસ્થા સંભાળવા પાંચ બ્રહ્મર્ષિ ઉત્પન્ન કર્યા.

“સપ્તમે સપ્ત પાતાળ, સાંવિત્રી સંધ્યા, 
ગૌ – ગંગા – ગાયત્રી, ગૌરી – ગીતા માં” 
માનવ શરીરમાં રહેલા સાત ચક્રોની આંતર ચેતના વધારવા માટે શિવાનંદજીએ સાત ઉપાયો અહી આપ્યા છે. કેટલાક ‘સંધ્યા સાવિત્રી’ બોલે જે ખોટું છે. 1. સાવિત્રી એટલે સૂર્ય ઉપાસના, 2. સંધ્યા એટલે ત્રિકાળ સંધ્યા અથવા સાંજે ભજન કીર્તન 3. ગૌ સેવા 4. ગંગા સ્નાન 5. ગાયત્રી મંત્ર જાપ 6. ગૌરી અર્થાત પાર્વતી દેવીની સાધના 7. ગીતાજીનો ઉપદેશ. આ કડી માત્ર શબ્દમેળ નથી પણ ગુઢાર્થ સમજવો જરૂરી છે.

“કીધા હરિ બ્રહ્મા’ની જગ્યાએ કોઈ હર બ્રહ્મા બોલે છે. ખરેખર હરિ (વિષ્ણુ) અને બ્રહ્માએ શીવ-શક્તિની પૂજા કરે છે એ સાચો ભાવ છે. 

“કામ દુર્ગા કાલીકા, શ્યામા ને રામા” 
અર્થાત કામદુર્ગા દેવી, કાલિકા અને શ્યામા (રાધાજી), રામા (સીતાજી)ની ભક્તિ તરફ શિવાનંદજીનો અંગુલીનિર્દેશ છે.

“તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા” વાળી કડીમાં હે માં! તમે તુલજા ભવાની રૂપે શિવજીને તલવાર આપી હિંદુ ધર્મને તારનારા છો. તથા જવારાના સેવનથી ચિરકાળ તારુણ્ય બક્ષનારા છો.

         વિક્રમ સંવત 1622માં શિવાનંદજીની સાધના શરૂ થઈ અને 1657માં પૂર્ણ થઈ એવી ધારણા છે. તેમજ ચતુર્ભુજ સ્વરૂપે માતાજીએ કવિને દર્શન આપ્યા. ત્રંબાવટી, રૂપાવટી અને મંછાવટી આ ત્રણ એ વખતની નજીકની નગરીના લોકોએ શિવાનંદજીને આ અનુષ્ઠાનમાં તન-મન-ધનથી મદદ કરી જેથી તેના આશરે ‘સોળ સહસ્ત્ર’ સોળ હજાર લોકો વતી કવિએ પ્રાર્થના કરી વિશિષ્ટ રૂપે આશીર્વાદ માંગ્યા.

અઢારમી કડીમાં ભણે શિવાનંદ સ્વામી પછીના તમામ અંતરા એ ભાવજગતથી ભક્તોએ જોડેલા છે. આગામી દિવસોમાં આપણી આવનારી પેઢી સુધી સાચી ધરોહર સાચા સ્વરૂપમાં પહોંચાડીશું અને સાચી આરતી ગાશું તો ભગવતી અને કવિ શિવાનંદ સ્વામી સ્વર્ગમાંથી રાજી થાશે. ( વિશેષ આભાર શ્રી ગણપતલાલ પંચીગર તથા નિતીનભાઈ ભજીયાવાલા-સુરત. )

લેખક - ડો. ભુવન રાવલ - કલોલ

No comments:

Post a Comment

આમારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર
અમારો હેતુ સનાતન ધર્મ ના તમામ ગ્રંથો PDF વાંચકો સુધી પહોંચાડી સનાતન સંસ્કૃતિ નું જ્ઞાન આવનારી પેઢીને પણ મળે તેવો અમારો દ્રઢ નિશ્ચય છે

ઇ આધ્યાત્મિક લાઈબ્રેરી