Sunday, September 8, 2024

ઋષિ પંચમી


ભાદરવા સુદ પાંચમ,
જેને ૠષિપંચમી કહે છે, 
આ દિવસે બહેનો વ્રત-ઉપવાસ રાખીને "સામો" નામે એક ખાસ જંગલી-ચોખાને આરોગે છે. 
આથી લોકસંસ્કૃતીમાં આ વ્રતને "સામાપાંચમ" પણ કહેવાય છે.  
પાંચાળ પંથક એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ તરણેતર ગામનો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો, શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં ઉજવાય છે એનો આજે અંતિમ દિવસ હોય છે.

પૃથ્વી પરની દરેક સજીવસૃષ્ટીના અસ્તિત્વ માટે પ્રજનન જરૂરી છે. 

સમગ્ર સજીવસૃષ્ટિના ક્રમીક વિકાસ અને સ્થાનમાં માનવજાતમાં લાગણી અને ચેતનાનું સ્થાન ઉચ્ચ છે. 

એમાંય પેઢી દર પેઢી ચેતનાનો ઉચ્ચ વિકાસ થાય અને પૃથ્વી પરની સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારી તેમજ પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ માટે ઉત્તમ સંતતિ પેદાં કરવી એ મનુષ્યની ફરજ અને કૃતજ્ઞતા છે. 

વંશને વધારનાર અને એમાંય ઉચ્ચત્તમ સંસ્કાર આવે એની વ્યવસ્થા સ્ત્રી દ્વારા જ શકય છે,  
આથી ભારતીય સંસ્કૃતીમાં મૂળ ઉત્પાદક હેતુ અને સ્થાન એવાં સ્ત્રીત્વને ઉચ્ચતર બનાવવા ; જપ, તપ, વ્રત, ઉત્સવ આદીથી, આ ધ્યેયને સિદ્ધ કરવા રૂપક સ્વરૂપે આ વ્રતાદિની પરંપરા સર્જાયેલ છે.

માનવનું સર્જન સ્ત્રીબીજ- અંડાણું અને પુરુષબીજ-શુક્રાણુંના ફલનથી, સ્ત્રીશરીરમાં થાય છે, પુરુષ તરફથી માનવસર્જનમાં શારીરિક સૌષ્ઠવ તથા બળને સબંધીત ફેકટર્સ મળે છે, જે સ્થૂળ હોય છે, પણ સ્ત્રી તરફથી અતિ મહત્વના સુક્ષ્મ પણ જીવંતભાવો, લાગણી-ઉત્સાહ, સર્જનાત્મકતા વિગેરે જન્મ લેતાં મનુષ્યને મળતાં હોય છે,  
આ ભાવો,  
એ.. એ મનુષ્ય દ્વારા સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારીને અસર કરતાં હોય છે.

     આથી સ્ત્રીબીજ અને ગર્ભાશય ઉત્તમોત્તમ બને અને રહે એવો સમગ્ર પ્રયત્ન, પ્રાચીન ભારતના સંશોધક, વૈજ્ઞાનિક સમા ૠષિઓનો હતો.

     દક્ષિણાયનને પિતૃપક્ષ પણ કહે છે, અને આ સમયકાળમાં ચંદ્રના કોસ્મેટિક ઇલેક્ટ્રો-મેગ્નેટિક રેઝ અત્યંત પ્રભાવી રહે છે, આથી પૃથ્વીવાસીઓ બળ-વર્ણ અને ઊર્જાની પ્રાપ્તિ કરે છે. 

આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સમયકાળને વિસર્ગકાળ કહે છે, માનવનું પ્રકૃતિમાંના પ્રકાશ, વાયુ, જલ અને વનસ્પતિઓના ખાદ્ય આદી દ્વારા બળ-ઉત્સાહ વધે છે. 

     પણ આ ઊર્જા ઉત્તમ કવૉલીટીની સંગૃહિત કરી શકાય એ માટે એને કંડિશનીંગ કરવી પડે છે, જેને માટે થઇને ભારતીય સંસ્કૃતિમાં વિવિધ વ્રત-ઉત્સવ આ દક્ષિણાયનમાં ઉજવાતાં આવ્યાં છે. ઉપર લખ્યું એમ, ઉચ્ચ ઊર્જા અને ચેતનાવાળી માનવજાત પેદાં કરવા ઉત્તમોત્તમ સ્ત્રીબીજ અને શ્રેષ્ઠ ગર્ભાશયની જરૂરીયાત હંમેશા રહે છે. આ માટે ભારતીય સંસ્કૃતિમાં અને વિશ્વના મોટાભાગના દરેક ધાર્મિક સંપ્રદાયમાં "રજસ્વલા પરીચર્યા" આ ખાસ હેતુથી પાલન કરવાનો આગ્રહ સેવાયેલો હશે.

તાજેતરમાં થયેલ મેટાફીઝીકસ સાયંસ આધારીત, વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે, આજે સ્ત્રીવંધ્યત્વના કિસ્સા માટે સામાન્ય નિદાન બની ગયેલ PCOD/PCOS ના સ્ત્રીદરદીને સતત 7 માસ માટે રજસ્વલાપરીચર્યાના ચારદિવસમાં વર્ણિત આહાર, વિહાર અને કેટલીક સાવધાનીઓનું દ્દઢ પાલન કરાવાય તો અપાતી આ વિકારની અન્ય ચિકિત્સા ઝડપથી શ્રેયકર બને છે.

ૠષિપાંચમની જે પૌરાણીક કથાવાર્તા સંભાળવામાં આવે છે, એમાં પણ રજસ્વલાપરીચર્યા દરમિયાન અજ્ઞાનવશ થતાં અપરાધનો પશ્ચાતાપ અને ક્ષમા-યાચનાનો ભાવ રહેલ છે, સાથે સાથે વૈજ્ઞાનિક વનસ્પતિ કુળ Poaceae ફેમિલી ની વૈજ્ઞાનિક નામ Echinochloa colonum થી ઓળખાતી ઘાસ વર્ગની વનસ્પતિ, જંગલી ચોખા અથવા અંગ્રેજીમાં જેને awnless barnyard grass કહે છે એનું આયુર્વેદ સંહિતા ગ્રંથો માં श्यामक નામથી વર્ણન ગુણ કર્મ જોવા મળે છે. આ વનસ્પતિના ભારતીય ભાષાઓમાં મળતા નામ મૂળ સંસ્કૃત પરથી જે તે પ્રદેશની લોકબોલીમાં આવ્યાં હોય એવું લાગે છે, આથી તો ગુજરાતમાં એને સામો કહે છે.આયુર્વેદ દ્રષ્ટિકોણથી સામાનો ગુણકર્મ શોષક એટલે કે વધારાના મેદ/ચરબીને દૂર કરનાર છે તથા કફઘ્ન અને પિત્તહર પણ છે. 

PCOSના વિકાર શમન માટે પણ સામા જેવાં ગુણકર્મ ધરાવતાં દ્રવ્યો આયુર્વેદ ચિકિત્સા દ્રષ્ટિકોણથી ઉપયોગી બને છે. આધુનિક દ્રષ્ટિકોણથી સામા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશીયમ, મેગેનિઝ, મેગ્નેશિયમ, ઝીંક ઉપરાંત કૉપર રહેલ છે. આ બધા તત્વો પણ ઉત્તમ સ્ત્રીબીજ નિર્માણ કરવા ફિમેલ હોર્મન્સ સિક્રિએશનને સમ્યક કરે છે.
ૠષિપંચમીએ સામાનું માહાત્મ્ય એટલે દર્શાવેલ હશે કે, 12 થી 50 વર્ષના વયકાળમાં દરેક વખતે રજસ્વલા સમય દરમિયાન સ્ત્રીઓએ આહારમાં ધાન્ય તરીકે સામો જ ખાવો, 

પણ સાઁપ ગયા 'ને લીસોટા રહ્યાં એમ, આપણે પ્રતિકોના માત્ર પૂજનમાં માનનારા છીએ, એટલે રીવાજ કે પરંપરા પાછળનો મૂળ કલ્યાણકારી ઉદેશ્ય ભૂલી જઇને પૌરાણીક ક્રિયાકાંડને યંત્રવત્ કર્યા કરીએ છીએ એની પાછળના મૂળ ઉદેશ્ય કે ઉપદેશ નું ચિંતન કે જીજ્ઞાસા કરતાં જ નથી.

ૠષિપંચમીના દિવસે માનવગૌત્રના પ્રવર્તક મૂળ સાત ૠષિઓ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની, અને વસિષ્ઠ ની પ્રતિકાત્મક માટી કે ચોખાની ઢગલીઓ સ્વરૂપે મૂર્તિ બનાવીને પૂજન કરાય છે, સાથે મહર્ષિ વશિષ્ઠની પત્નિ અરુંધતિનું પણ સ્થાપન-પૂજન કરાય છે. આ ૠષિપત્નિ અરુંધતિનું પતિવ્રતા ગુણનો આદર્શ સમજાવવા પ્રતિક પૂજન છે.  

     આપણી સંસ્કૃતિ એ આકાશમાં ધ્રુવના તારાની પાસે દેખાતાં સાત તારાના ઝુમખાને સપ્તર્ષિ તારામંડળ તરીકે ઓળખાવેલ છે આ તારામંડળના તારાઓનાં નામ સ્વાયંભુવ નામે પ્રથમ મન્વંતરના સાત ઋષિ: મરીચિ,અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ પરથી અપાયેલ છે, જેમાં વસિષ્ઠ તારાની બાજુમાં દેખાતો ઝાંખો તારાને અરુંધતિનો તારો. કહેવાય છે, લગ્ન ની પૂર્વસંધ્યાએ કન્યાને આ અરૂંધતી ના તારાનું દર્શન કરાવાય છે. ફેબ્રુઆરી એટલે કે, ફાગણ-ચૈત્રથી ઑગસ્ટ એટલેકે શ્રાવણ-ભાદરવા સુધી સપ્તર્ષિ તારામંડળના આકાશદર્શન કરી શકાય છે પણ ભાદરવા પછી નથી થતાં આથી કદાચ ભાદરવા સુદ પાંચમે આ સપ્તર્ષિનું પ્રતિકાત્મક પૂજન કરાતું આવ્યું હશે. ૠષિ પંચમીએ અત્યારે જે સાતમો મન્વંતર વૈવસ્વત ચાલી રહ્યો છે એનાં ઋષિ; કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજનું પૂજન અર્ચન કરાય છે.

ભાદરવા સુદ પાંચમ એ દક્ષિણાયનમાં આવે છે અને પિતૃપક્ષ છે અને મૂળ ઉદેશ્ય તો પેઢી દર પેઢી ઉત્તમોત્તમ સંસ્કારી સંતતિ પેદાં થાયએ હોવાથી દેવ ને બદલે ૠષિઓનું પૂજન અર્ચન કરાય છે.

No comments:

Post a Comment

આમારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર
અમારો હેતુ સનાતન ધર્મ ના તમામ ગ્રંથો PDF વાંચકો સુધી પહોંચાડી સનાતન સંસ્કૃતિ નું જ્ઞાન આવનારી પેઢીને પણ મળે તેવો અમારો દ્રઢ નિશ્ચય છે

ઇ આધ્યાત્મિક લાઈબ્રેરી